
પવિત્ર રમજાન માસના પ્રથમ ચાંદથી જ વિવિધ સામાજિક સંસ્થાઓ અને સેવાભાવી લોકો દ્વારા કોમી એકતાના પ્રતીક રૂપે હોસ્પિટલો, જેલ અને મદ્રાસાઓમાં સહભાગી બની સરગી અને ઇફ્તારીના કાર્યક્રમો યોજાયા હતા. આ શુભ પરંપરાને આગળ વધારતા મોરબી સબ જેલ ખાતે ઈદુલ ફિતરના પાવન અવસર પર બંદીવાન ભાઈઓ માટે વિશેષ કાર્યક્રમ યોજાયો હતો.આ પ્રસંગે બંદીવાન ભાઈઓએ એકત્રિત થઈ ઈદની નમાજ અદા કરી અને ખુદાની બંદગીમાં લીન બની ગયા. કાર્યક્રમ દરમિયાન ભાઈચારો, શાંતિ અને એકતાનો સુંદર માહોલ સર્જાયો હતો. મુસ્લિમ સમાજના અગ્રણીઓ, આગેવાનો તેમજ જેલના અધિકારીઓ પણ હાજર રહી આ પવિત્ર ક્ષણના સાક્ષી બન્યા હતા. કાર્યક્રમ માત્ર ધાર્મિક વિધિ પૂરતો મર્યાદિત ન રહ્યો, પરંતુ એ એકતા, સહિષ્ણુતા અને માનવતાનો જીવંત સંદેશ આપતો બની રહ્યો. બંદીવાનો અને હાજર તમામ લોકોમાં પરસ્પર સ્નેહ અને સહકારની ભાવના વધુ મજબૂત બની હતી. આ રીતે મોરબી સબ જેલમાં ઉજવાયેલ ઈદનો કાર્યક્રમ સમાજ માટે એક પ્રેરણાદાયક ઉદાહરણ બની રહ્યો છે, જે બતાવે છે કે કોઈપણ પરિસ્થિતિમાં માનવતા અને એકતા સર્વોપરી છે.

