


રાજકોટ ખાતે તળપદા કોળી સમાજ સંગઠન અને સમસ્ત સુવાળીયા કોળી ઠાકોર મહામંડળ દ્વારા એક મહત્વપૂર્ણ સંયુક્ત બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ આજીડેમ ચોકડી નજીક અનમોલ પાર્ક ખાતે તા. 22 માર્ચ 2026, રવિવારે સાંજે 4 થી 7 દરમિયાન યોજાયો હતો.
આ બેઠકમાં નવ નિયુક્ત હોદ્દેદારો તથા સભ્યોનો પરિચય આપવામાં આવ્યો હતો તેમજ ધાર્મિક, સામાજિક અને રાજકીય મુદ્દાઓ પર વિચારવિમર્શ કરવામાં આવ્યો હતો. ખાસ કરીને યુવાનો અને મહિલા પ્રતિનિધિઓને પ્રાથમિકતા આપીને મર્યાદિત સંખ્યામાં આમંત્રણ આપવામાં આવ્યું હતું, જે સમાજના સશક્તિકરણ માટે મહત્વપૂર્ણ પગલું માનવામાં આવે છે.આગામી જિલ્લા અને તાલુકા પંચાયત ચૂંટણીને ધ્યાનમાં રાખીને બેઠકમાં મહત્વપૂર્ણ ચર્ચા કરવામાં આવી હતી. કોળી અને ઠાકોર સમાજની વસ્તી પ્રમાણે યોગ્ય પ્રતિનિધિત્વ મળે તે મુદ્દે સભ્યો દ્વારા એકમતીથી અવાજ ઉઠાવવામાં આવ્યો. વિવિધ રાજકીય પક્ષોએ સમાજને યોગ્ય ન્યાય આપે અને બહેનો-ભાઈઓને ટિકિટ આપવામાં આવે તેવી માંગ ઉઠી હતી.


સભામાં ઉપસ્થિત આગેવાનોએ જણાવ્યું હતું કે, જો સમાજને તેના હક મુજબ પ્રતિનિધિત્વ નહીં મળે, તો તેનો રાજકીય અસરકારક પ્રતિસાદ આપવાની તૈયારી રાખવામાં આવશે. આ બેઠક દ્વારા સમાજમાં એકતા અને જાગૃતિનો મજબૂત સંદેશો પ્રસર્યો હતો.
આ કાર્યક્રમમાં આશરે 500 થી 600 જેટલા ભાઈઓ અને બહેનો હાજર રહ્યા હતા. અંતમાં સૌએ ભેગા મળી ભોજન લીધું અને એકતા સાથે કાર્યક્રમ પૂર્ણ કર્યો.
આ સંયુક્ત બેઠક સમાજના હક્ક, એકતા અને વિકાસ માટે એક મહત્વપૂર્ણ મંચ સાબિત થઈ રહી છે.


