


મોરબી : NEET પરીક્ષા રદ થવાના મુદ્દે આજે મોરબી જિલ્લા યુથ કોંગ્રેસ દ્વારા શહેરમાં વિરોધ પ્રદર્શન યોજવામાં આવ્યું હતું. યુથ કોંગ્રેસના કાર્યકરોએ હાથમાં બેનરો અને સૂત્રોચ્ચાર સાથે પરીક્ષા પ્રક્રિયામાં પારદર્શિતા અને જવાબદારીની માંગ ઉઠાવી હતી.
વિરોધ પ્રદર્શન દરમિયાન કાર્યકરોએ NEET પરીક્ષા સંબંધિત ગેરરીતિઓ અને પેપર લીક જેવા મુદ્દાઓને લઈને કેન્દ્ર સરકાર તથા સંબંધિત તંત્ર સામે પ્રશ્નો ઉઠાવ્યા હતા. “વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડાં ન થવા જોઈએ” તેવી માંગ સાથે યુવાનો અને આગેવાનોએ જવાબદારો સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી હતી.
પ્રદર્શનકારીઓ એ જણાવ્યું હતું કે સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં પારદર્શિતા જળવાઈ રહેવી જરૂરી છે, કારણ કે લાખો વિદ્યાર્થીઓના ભવિષ્યનો પ્રશ્ન જોડાયેલો છે. આ દરમિયાન શહેરમાં થોડા સમય માટે વિરોધનો માહોલ જોવા મળ્યો હતો.
ઉલ્લેખનીય છે કે NEET પરીક્ષા મુદ્દે દેશભરમાં ચર્ચા ચાલી રહી છે, ત્યારે મોરબીમાં પણ યુથ કોંગ્રેસ દ્વારા વિરોધ નોંધાવી પરીક્ષા વ્યવસ્થાને લઈ સવાલો ઉઠાવવામાં આવ્યા છે.