
રાજકોટ સિવિલ હોસ્પિટલ અને તેની બ્લડબેંક સૌરાષ્ટ્ર માટે કેન્દ્રસ્થાન હોવાથી અહીં વિવિધ બ્લડગ્રૂપની અછત વારંવાર અનુભવાય છે. આવી સ્થિતિમાં સમાજસેવાના ઉત્તમ ઉદાહરણરૂપ ડેરી ગ્રામ્ય (કાલાવડ તાલુકો, જામનગર જીલ્લા) ખાતે સ્વ. વૈદિકાબા મયુરસિંહ જાડેજાના જન્મદિવસ નિમિતે મહારક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું.
આ કેમ્પનું આયોજન શ્રીમદ્ રાજચંદ્ર ફાઉન્ડેશન ના સહયોગથી કરવામાં આવ્યું હતું, જેમાં ગ્રામજનો અને યુવાનો એ ઉત્સાહપૂર્વક ભાગ લઈ માનવતાની સેવા કરી. કેમ્પ દરમિયાન કુલ ૧૮૧ રક્તબોટલનું દાન એકત્ર થયું, જે રાજકોટ સિવિલ બ્લડબેંકને અર્પણ કરવામાં આવ્યું. આ આયોજનમાં શ્રી મયુરસિંહ જાડેજા, શ્રી જયપાલસિંહ જાડેજા, ડેરી ગ્રામ્યના સરપંચ શ્રી રાજભા જાડેજા, શ્રી પ્રવીણભાઈ શિંગાળા તેમજ જ્યોતિ CNC ના ડિરેક્ટર શ્રી વિક્રમસિંહ રાણા સહિત સમગ્ર જાડેજા પરિવાર અને ગામના રહેવાસીઓનો સક્રિય સહયોગ રહ્યો. આ પ્રસંગે આયોજકોએ તમામ રક્તદાતાઓનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો અને જણાવ્યું કે રક્તદાન એ સૌથી મહાન દાન છે, જે અનેક જીવને નવી આશા અને જીવનદાન આપે છે.
આ મહારક્તદાન કેમ્પ માત્ર સેવા પ્રવૃત્તિ નથી, પરંતુ સમાજમાં સહકાર, સંવેદના અને માનવતાની ભાવના મજબૂત બનાવવાનો પ્રેરણાદાયી પ્રયાસ બની રહ્યો છે.


