Uncategorized

કોમી એકતાનું જીવંત પ્રતિક: જરૂરિયાતમંદ માટે આશીર્વાદ સમાન સમૂહ લગ્ન

કોમી એકતાનું જીવંત પ્રતિક: જરૂરિયાતમંદ માટે આશીર્વાદ સમાન સમૂહ લગ્ન

વાંકાનેર તાલુકાના લિંબાળા નજીક તા. 05-04-2026ના રોજ યોજાયેલા સમૂહ લગ્ન માત્ર એક સામાજિક કાર્યક્રમ નહીં, પરંતુ કોમી એકતા, સહકાર અને માનવતાનું અનોખું પ્રતિક બની રહ્યા હતા. મદાર એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજિત આ ભવ્ય સમારંભમાં 11 જોડાઓ પવિત્ર બંધનમાં બંધાયા, જ્યાં હિંદુ અને મુસ્લિમ સમાજના લોકો મોટી સંખ્યામાં હાજર રહી એકતાનો સુંદર સંદેશ આપ્યો. આ સમૂહ લગ્ન ખાસ કરીને જરૂરિયાતમંદ પરિવારો માટે આશીર્વાદ સમાન સાબિત થયા. દાતાઓના સહયોગથી દુલ્હા-દુલ્હનોને પલંગ, પથારી, ફ્રીજ, સોનાના દાણા સહિત અંદાજે 155થી વધુ ઘરગથ્થુ અને રસોડાની જરૂરી વસ્તુઓ કરિયાવર રૂપે આપવામાં આવી, જે તેમના નવા જીવનની મજબૂત શરૂઆત માટે મહત્વપૂર્ણ બની રહી છે.

આ પ્રકારની સેવા સમાજમાં સહાનુભૂતિ અને સહકારની ભાવનાને વધુ મજબૂત બનાવે છે. કાર્યક્રમ દરમિયાન દાતાઓ અને આગેવાનોનું સન્માન કરવામાં આવ્યું હતું. મુખ્ય મહેમાનો તરીકે ઈમ્તિયાઝ પઠાણ, સુફી સંત અમીન મોલાના, અસગર અલી બાપુ સાવલી અને સૈયદ કરીમ બાપુ જોધપર ઉપસ્થિત રહ્યા હતા. તેઓએ પોતાના પ્રવચનમાં પરિવારિક મૂલ્યો, સંસ્કાર અને સામાજિક એકતા અંગે પ્રેરણાદાયી માર્ગદર્શન આપ્યું હતું. આ પ્રસંગે આશરે 2500થી વધુ લોકો હાજર રહ્યા હતા, જેમાં જામનગર, કાલાવડ, મોરબી, વાંકાનેર સહિતના વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. તમામ જ્ઞાતિના લોકોની હાજરીએ આ કાર્યક્રમને સાચા અર્થમાં સર્વસમાવેશી બનાવ્યો હતો.
કાર્યક્રમનું સફળ આયોજન મદાર એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ જહાંગીર શાહ બાપુ, મંત્રી આરીફ દીવાન (પત્રકાર) અને ઉપપ્રમુખ યાસીન રાઠોડના માર્ગદર્શન હેઠળ થયું હતું. સમગ્ર કાર્યક્રમનું અસરકારક એન્કરિંગ પણ આરીફ દીવાન દ્વારા કરવામાં આવ્યું હતું. આવા સમૂહ લગ્ન માત્ર લગ્ન વિધિ સુધી સીમિત નથી, પરંતુ સમાજમાં એકતા, સહકાર અને માનવતાના મૂલ્યોને પ્રસરાવવાનો શક્તિશાળી માધ્યમ છે. ખાસ કરીને જરૂરિયાતમંદ પરિવારો માટે આ પહેલ એક નવી આશા અને સન્માનજનક જીવનની શરૂઆત બની રહે છે.

AARIF DIWAN

Montu Bagathariya Gujarat Gunj Founder