


રિપોર્ટ : મુકેશ એસ. કંટારીયા, ગારિયાધાર: ગારિયાધારના મફતનગર વિસ્તારમાં સુન્ની મુસ્લિમ કસ્બા જમાત દ્વારા મોહરમ નિમિત્તે ઇમામ હુસૈન (અ.સ.) અને કરબલાના 72 શહીદોની યાદમાં તાજીયાના ભવ્ય અને શાંતિપૂર્ણ જુલૂસનું આયોજન કરવામાં આવ્યું હતું. સમગ્ર વિસ્તારમાં ધાર્મિક આસ્થા, ભાઈચારો અને સૌહાર્દનું અનોખું વાતાવરણ જોવા મળ્યું હતું. જુલૂસ દરમિયાન વિવિધ સ્થળોએ નાસ્તા, ઠંડા પીણાં અને નિયાઝનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓએ ભાગ લીધો હતો. ગારિયાધાર ઉપરાંત આસપાસના ગામોમાંથી પણ લોકો મોટી સંખ્યામાં તાજીયાના દર્શન માટે ઉમટી પડ્યા હતા. સમગ્ર કાર્યક્રમ દરમિયાન ગારિયાધાર પોલીસ અને GRD સ્ટાફ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવતા જુલૂસ શાંતિપૂર્ણ અને સુવ્યવસ્થિત રીતે સંપન્ન થયો હતો. આ પ્રસંગે કસ્બા જમાતના પ્રમુખ ભીખુભાઈ દલ, ઉસ્માનભાઈ મીર, તાજીયા કમિટીના પ્રમુખ સલીમભાઈ રસોયા, ન્યુ સિપાઈ સમાજના પ્રમુખ મમદભાઈ શેખ તેમજ ફિરોજબાપુ શેખ, રફિકભાઈ ચૌહાણ, હબીભાઈ મીર, સિકંદરભાઈ પઠાણ, શોભાખાન પઠાણ, આસિફભાઈ ભઠી, મહમદભાઈ મકરાણી, સબીરભાઈ મકરાણી, ઘુઘાબાપુ, મુસ્તાકભાઈ દલ, કરીમભાઈ કડિયા સહિત તાજીયા કમિટીના સભ્યો, કસ્બા જમાતના મુસ્લિમ ભાઈઓ તથા હિન્દુ સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

મોહરમનો આ પવિત્ર પ્રસંગ માત્ર શોક અને શ્રદ્ધાનો જ નહીં, પરંતુ માનવતા, ત્યાગ, સેવા અને હિન્દુ-મુસ્લિમ એકતાનો જીવંત સંદેશ આપતો બની રહ્યો હતો. સમગ્ર કાર્યક્રમ દરમિયાન કોમી સૌહાર્દ અને ભાઈચારાના સુંદર દર્શન જોવા મળ્યા હતા.