
મોરબી શહેર બી ડિવિઝન પોલીસે હત્યાના એક ગંભીર ગુનામાં સંડોવાયેલા ચાર આરોપીઓની ગણતરીના કલાકોમાં અટકાયત કરી હોવાનું જાહેર કર્યું છે. પોલીસે આરોપીઓ સામે ભારતીય ન્યાય સંહિતા (BNS)ની સંબંધિત કલમો, આર્મ્સ એક્ટ તેમજ જી.પી. એક્ટ હેઠળ ગુનો નોંધ્યો છે.પોલીસના જણાવ્યા અનુસાર, મોરબીના શોભેશ્વર રોડ વિસ્તારમાં રહેતા હનીફભાઈ ગફૂરભાઈ ભટ્ટીની તીક્ષ્ણ હથિયારના ઘા અને ફાયરિંગ કરીને હત્યા કરવામાં આવી હતી. પ્રાથમિક તપાસમાં જૂની અદાવત અને શંકાને લઈને ગુનો આચરાયો હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે.ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને ઉચ્ચ પોલીસ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ અલગ-અલગ ટીમો બનાવી તપાસ હાથ ધરવામાં આવી હતી. સર્વેલન્સ અને બાતમીદારોની મદદથી પોલીસે થાનગઢ વિસ્તારેથી ચાર શંકાસ્પદ આરોપીઓને ઝડપી પાડ્યા હતા.
પકડાયેલા આરોપીઓમાં ફારૂકભાઈ અલારખાભાઈ ભટ્ટી, સમીરભાઈ જાકિરભાઈ પીરજાદા, રિયાઝભાઈ ફારૂકભાઈ ભટ્ટી અને નિઝામભાઈ દિલાવરભાઈ દીવાનનો સમાવેશ થાય છે.પોલીસે જણાવ્યું હતું કે આરોપીઓ સામે અગાઉ પણ વિવિધ પોલીસ સ્ટેશનોમાં ગુનાઓ નોંધાયેલા છે. હાલ પોલીસે આરોપીઓની વધુ પૂછપરછ શરૂ કરી છે અને ગુનામાં અન્ય કોઈની સંડોવણી છે કે નહીં તે દિશામાં તપાસ આગળ ધપાવવામાં આવી રહી છે.
