
અમદાવાદના શાસ્ત્રીનગર વિસ્તારમાં મોડીરાત્રે એક કારચાલકે સોસાયટી બહાર પાર્ક કરાયેલી ચાર જેટલી કારને ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માતના પગલે વિસ્તારમાં થોડા સમય માટે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. પ્રાથમિક માહિતી અનુસાર, કારચાલકે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતા રોડની બાજુમાં પાર્ક કરાયેલા વાહનોને જોરદાર ટક્કર મારી હતી. ટક્કરની અસર એટલી ગંભીર હતી કે અનેક વાહનોને નુકસાન પહોંચ્યું હોવાનું જાણવા મળ્યું છે. સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ, અકસ્માત સર્જનાર કારચાલક દારૂના નશામાં હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. જોકે, આ અંગે સત્તાવાર પુષ્ટિ હજુ સુધી થઈ નથી. અકસ્માત બાદ કારચાલક પોતાની કાર ઘટનાસ્થળે જ મૂકી ફરાર થઈ ગયો હતો.
ઘટનાની જાણ થતાં ટ્રાફિક પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને નુકસાનગ્રસ્ત વાહનોનું પંચનામું કરી તપાસ શરૂ કરી છે. પોલીસે કાર જપ્ત કરીને આસપાસના સીસીટીવી ફૂટેજના આધારે ફરાર કારચાલકની ઓળખ મેળવવાના પ્રયાસો હાથ ધર્યા છે.
પોલીસે નાગરિકોને ટ્રાફિક નિયમોનું પાલન કરવા તેમજ નશાની હાલતમાં વાહન ન ચલાવવાની અપીલ કરી છે. તપાસ પૂર્ણ થયા બાદ અકસ્માતના ચોક્કસ કારણો અને જવાબદારી અંગે વધુ વિગતો સામે આવશે.