
“જેમણે આપણને આંગળી પકડીને ચાલતા શીખવ્યા, આજે તેમના જીવનના સાંજકાળે તેમને એકલા ન છોડીએ.” આજના આધુનિક અને વ્યસ્ત જીવનમાં આ સંદેશ માત્ર લાગણી નથી, પરંતુ સમાજ માટે એક ગંભીર ચિંતાનો વિષય બની ગયો છે.તાજેતરના વર્ષોમાં વૃદ્ધાશ્રમોની સંખ્યા વધી રહી છે. આંકડાઓ કરતાં વધુ ચિંતાજનક બાબત એ છે કે ઘણા માતા-પિતા પોતાના સંતાનો જીવતા હોવા છતાં વૃદ્ધાશ્રમમાં જીવન પસાર કરવા મજબૂર બને છે. કારકિર્દી, શહેરોની ભાગદોડ, સંયુક્ત કુટુંબનું વિખંડન અને સ્વકેન્દ્રિત જીવનશૈલીના કારણે માતા-પિતાની સેવા અને સંભાળનું મૂલ્ય ક્યાંક ઘટતું જોવા મળે છે. એક સમય હતો જ્યારે ઘરના વડીલો પરિવારનું કેન્દ્રબિંદુ ગણાતા. તેમના અનુભવ, આશીર્વાદ અને માર્ગદર્શનથી આખું કુટુંબ આગળ વધતું. આજે ટેક્નોલોજી અને સુવિધાઓ વધી છે, પરંતુ સંબંધોમાં ઉષ્મા અને સમયની ખોટ સ્પષ્ટ અનુભવાય છે. વૃદ્ધોને ભૌતિક સુવિધાઓ કરતાં સંતાનોનો પ્રેમ, સન્માન અને બે મીઠા શબ્દોની વધુ જરૂર હોય છે.સોશિયલ મીડિયા પર માતા-પિતા માટે ભાવનાત્મક પોસ્ટ શેર કરવી સરળ છે, પરંતુ સાચી સેવા ત્યારે કહેવાય જ્યારે તેમના જીવનના અંતિમ પડાવે તેમને હૂંફ, સન્માન અને સાથ મળે. વૃદ્ધાશ્રમમાં મૂકવા કરતાં પોતાના ઘરમાં પ્રેમથી રાખવા પાછળ જ સાચી સંસ્કૃતિ અને સંસ્કારનું પ્રતિબિંબ જોવા મળે છે.


ભારતીય સંસ્કૃતિમાં માતા-પિતાને દેવતુલ્ય માનવામાં આવ્યા છે. “માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ”નો સંદેશ હજારો વર્ષોથી આપણને સંસ્કાર આપતો આવ્યો છે. ભગવાન શ્રીરામે પિતાના વચન માટે વનવાસ સ્વીકાર્યો હતો, જ્યારે શ્રવણકુમારે માતા-પિતાની સેવાનું આદર્શ સમગ્ર વિશ્વ સમક્ષ મૂક્યું હતું. આ પ્રસંગો માત્ર કથાઓ નથી, પરંતુ જીવન જીવવાની દિશા દર્શાવે છે.આજની યુવા પેઢી શિક્ષિત, સક્ષમ અને આધુનિક છે. જો આ પેઢી પોતાના માતા-પિતાની જવાબદારીને પ્રેમથી સ્વીકારી લે, તો વૃદ્ધાશ્રમોની જરૂરિયાત ઘણી હદ સુધી ઘટી શકે. બાળકો પોતાના માતા-પિતાને જોઈને જ સંસ્કાર શીખે છે. આજે આપણે જે વાવીએ છીએ, આવતીકાલે એ જ લણવાનું છે.
સમાજના વિકાસનું સાચું માપદંડ ઊંચી ઇમારતો કે આધુનિક સુવિધાઓ નથી, પરંતુ પોતાના વડીલોને કેટલું માન-સન્માન અને પ્રેમ આપવામાં આવે છે તે છે. માતા-પિતાના ચહેરા પરનું સ્મિત અને તેમના આશીર્વાદ જ જીવનની સૌથી મોટી સંપત્તિ છે.
ચાલો સંકલ્પ કરીએ કે વૃદ્ધાશ્રમ નહીં, પરંતુ પોતાના ઘરને જ માતા-પિતાના પ્રેમ, સન્માન અને સેવાનું સાચું આશ્રયસ્થાન બનાવીશું. કારણ કે જે માતા-પિતાને જીવનભર સાચવે છે, તેમના જીવનમાં સુખ, શાંતિ અને આશીર્વાદનો વરસાદ ક્યારેય ઓછો પડતો નથી.