gujarat gujarat રાષ્ટ્રીય

ગુજરાત હાઈકોર્ટનો સીમાચિહ્નરૂપ ચુકાદો: ફરજ દરમિયાન લૂંટ અટકાવતા કર્મચારીની હત્યા એ ‘અકસ્માત’ જ ગણાય; પરિવારો માટે વળતરનો માર્ગ મોકળો!

ગુજરાત હાઈકોર્ટનો સીમાચિહ્નરૂપ ચુકાદો: ફરજ દરમિયાન લૂંટ અટકાવતા કર્મચારીની હત્યા એ ‘અકસ્માત’ જ ગણાય; પરિવારો માટે વળતરનો માર્ગ મોકળો!

નોકરી દરમિયાન કે નાઇટ ડ્યુટી વખતે કોઈ અનિચ્છનીય ઘટના બને અને કર્મચારી પર જીવલેણ હુમલો થાય, તો તેને કઈ શ્રેણીમાં ગણવું? આ સવાલ પર ગુજરાત હાઈકોર્ટે એક અત્યંત મહત્ત્વપૂર્ણ અને સ્પષ્ટ વલણ અપનાવ્યું છે. કોર્ટે પોતાના ચુકાદામાં મોટું અર્થઘટન કરતા જણાવ્યું છે કે જો કોઈ કર્મચારી ફરજ બજાવતી વખતે લૂંટ કે ગુનાહિત પ્રવૃત્તિનો વિરોધ કરે અને તેમાં તેનો ભોગ લેવાય, તો તે કાયદાકીય રીતે ‘રોજગાર દરમિયાન થયેલો અકસ્માત’ જ માનવામાં આવશે. આ સાથે જ હાઈકોર્ટે ઇમેજિંગ સેન્ટરની અપીલ ફગાવીને મૃતક કર્મચારીના પરિવાર માટે વળતરનો આદેશ યથાવત રાખ્યો છે.

શું હતો સમગ્ર મામલો? (સુરતનું સુપરસ્કેન ઇમેજિંગ સેન્ટર): સુરતના એક જાણીતા ‘સુપરસ્કેન ઇમેજિંગ સેન્ટર’ ખાતે નાઇટ ડ્યુટી પર વર્ડ બોય તરીકે ફરજ બજાવતા નિશાંત પટેલની ક્રૂર હત્યા કરવામાં આવી હતી અને સેન્ટરની તિજોરીમાંથી રૂ. 1,20,000 ની રોકડ રકમની લૂંટ ચલાવાઈ હતી. આ ગંભીર કેસમાં અગાઉ શ્રમ અદાલતે (લેબર કોર્ટ) મૃતકના શોકગ્રસ્ત પરિવારને રૂ. 8,45,000 નું વળતર ચૂકવવાનો આદેશ આપ્યો હતો. પરંતુ આ આદેશ સામે ઇમેજિંગ સેન્ટરના માલિકે હાઈકોર્ટમાં અપીલ દાખલ કરીને વળતર ચૂકવવાથી બચવાના પ્રયાસો કર્યા હતા.

માલિકોની નબળી દલીલ અને કોર્ટની સચોટ લાલઆંખ: કંપનીના વકીલો તરફથી હાઈકોર્ટમાં દલીલ કરવામાં આવી હતી કે આ કોઈ અકસ્માત કે ડ્યુટી સાથે જોડાયેલી ઘટના નથી, પરંતુ મૃતક અને કોઈ ભૂતપૂર્વ કર્મચારી વચ્ચે દારૂની પાર્ટી દરમિયાન થયેલી અંગત બોલાચાલી અને અંદરોઅંદરના ઝઘડાનું પરિણામ હતું. જો કે, આ દલીલને તદ્દન પાયાવિહોણી ગણાવતા જસ્ટિસ જે. સી. દોશીએ પોતાના ચુકાદાના ફકરા 15માં ખૂબ જ સચોટ અવલોકન કર્યું હતું કે, કંપની દ્વારા રજૂ કરવામાં આવેલી આ અંગત ઝઘડાની થિયરીને સમર્થન આપે તેવો એક પણ નક્કર પુરાવો રેકોર્ડ પર ઉપલબ્ધ નથી.

શરીર પર 27 ઘા: ક્રૂરતા જ સાબિતી આપે છે કે આ લૂંટ જ હતી! કોર્ટે પોસ્ટમોર્ટમ રિપોર્ટને આધાર બનાવતા નોંધ્યું કે મૃતકના શરીર પર અંદાજે 27 જેટલા ગંભીર ઘા મળી આવ્યા હતા, જે દર્શાવે છે કે આ હત્યા અત્યંત ક્રૂરતા અને પૂર્વઆયોજિત આતંકથી કરવામાં આવી હતી. મૃતક અને આરોપીઓ વચ્ચે અગાઉની કોઈ અંગત દુશ્મનાવટ પણ સાબિત થઈ શકી નથી. કોર્ટે સ્પષ્ટ શબ્દોમાં તર્ક આપ્યો કે માત્ર સામાન્ય બોલાચાલીમાં કોઈને 27 ઘા ઝીંકીને નિર્મમ હત્યા કરવામાં આવે તે વાત તદ્દન અસ્વીકાર્ય છે.

લૂંટારૂઓનો પ્રતિકાર અને ફરજ વચ્ચેનો સીધો સંબંધ: હાઈકોર્ટે તારણ કાઢ્યું હતું કે સૌથી વાજબી અને તાર્કિક થિયરી એ જ છે કે રાત્રિના સમયે સેન્ટરમાં ઘૂસેલા તસ્કરો કે લૂંટારૂઓને તિજોરી ખાલી કરતા અટકાવવા માટે મૃતક નિશાંત પટેલે બહાદુરીપૂર્વક વિરોધ કર્યો હશે. આ પ્રતિકારને ડામવા માટે જ લૂંટારૂઓએ તેના પર હુમલો કર્યો હતો. આમ, કર્મચારીની ‘સક્રિય ફરજ’ અને તેની ‘હત્યા’ વચ્ચે સીધો કડીબદ્ધ સંબંધ સ્થાપિત થાય છે.

પરિવાર માટે મોટી રાહત: કંપનીની તમામ દલીલો અને અપીલને ધોઈ નાખતા ગુજરાત હાઈકોર્ટે શ્રમ અદાલતના વળતરના આદેશને સંપૂર્ણપણે યોગ્ય ઠેરવ્યો છે. આ ચુકાદાથી એ વાત સ્પષ્ટ થઈ ગઈ છે કે નાઇટ શિફ્ટ કે ડ્યુટી દરમિયાન પોતાની ફરજ નિભાવતા નિષ્ઠાવાન કર્મચારીઓ પર જો જીવનું જોખમ ઊભું થાય, તો કાયદો હંમેશા પીડિત પરિવારની પડખે ઊભો રહે છે.

Montu Bagathariya

Montu Bagathariya Gujarat Gunj Founder