

મોરબી: મોરબી જિલ્લામાં આ વર્ષે અપુરતા વરસાદને કારણે ખેડૂતો ભારે ચિંતામાં મુકાયા છે. અનેક વિસ્તારોમાં વાવેલા પાક (મોલ) પૂરતા પાણીના અભાવે ધીમે ધીમે સુકાવા લાગ્યા છે. ખેતરોમાં ઉભેલો પાક બચી રહે અને પશુ-પક્ષીઓને પણ પાણી મળી રહે તેવી આશાએ લોકોની નજર હવે આકાશ તરફ મંડાઈ છે.આ ગંભીર પરિસ્થિતિ વચ્ચે વીર વિદરકા ગામના દીપકદાન ગઢવીએ ધાર્મિક શ્રદ્ધા અને લોકઆસ્થાનું અનોખું ઉદાહરણ રજૂ કરતાં હવન-પૂજન યોજી ઇન્દ્રદેવને સારો વરસાદ વરસાવવા પ્રાર્થના કરી હતી. હવન દરમિયાન તેમણે ભાવુક શબ્દોમાં પ્રાર્થના કરી કે, “હે ભગવાન, હવે તમારા સિવાય જગતના તાત એવા ખેડૂતની પીડા કોઈ સમજી શકે તેમ નથી. પશુ-પંખી, પ્રકૃતિ અને અન્નદાતાની વહારે આવો. જય જગત તાત… જય માતાજી.”
ખેડૂત માટે વરસાદ માત્ર ઋતુ નથી, પરંતુ જીવન અને જીવનનિર્વાહનો આધાર છે.

સમયસર અને પૂરતો વરસાદ ન પડે તો પાક નિષ્ફળ જવાની ભીતિ ઊભી થાય છે, જેના કારણે ખેડૂતોને આર્થિક નુકસાન ઉપરાંત માનસિક ચિંતા પણ સતાવે છે. પાણીના અભાવે પશુઓ માટે ઘાસચારો અને પીવાના પાણીની સમસ્યા પણ ગંભીર બની શકે છે. દીપકદાન ગઢવીની આ પ્રાર્થના માત્ર ધાર્મિક વિધિ નહીં, પરંતુ સમગ્ર ખેડૂત સમાજની વ્યથા અને આશાનું પ્રતિક બની છે. હવે ખેડૂતોને આશા છે કે કુદરત મહેરબાન બનશે, ઇન્દ્રદેવ કૃપા વરસાવશે અને વરસાદથી સૂકાઈ રહેલા ખેતરો ફરી હરિયાળા બની ઊઠશે.”અન્નદાતા બચશે તો જ દેશની અન્નસુરક્ષા ટકશે” — આ સંદેશ સાથે સમગ્ર જિલ્લામાં વરસાદ માટે પ્રાર્થનાઓનો માહોલ જોવા મળી રહ્યો છે.

